શુક્રવાર, 5 માર્ચ, 2010

આપ શું વિચારો છો ? - 3 જન્માક્ષરમાં માનો છો?

( આજની અતિથિ કૃતિના લેખિકા છે  હિરલ શાહ. અમદાવાદમાં જૈન કુટુમ્બમાં જન્મ-ઉછેર અને  IT ક્ષેત્રનું ઉચ્ચ ભણતર મેળવી લગ્ન પછી IT પ્રોજેક્ટ કાર્ય માટે Leeds UKમાં એક વર્ષથી રહે છે. તેમના શબ્દોમાં કહું તો સરળ, મહત્વાકાંક્ષી અને રચનાત્મક રૂચી ધરાવતી યુવતી. યુ.કે.માં રહેવા છતાં આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિનો અમુલ્ય વારસો અને જૈન સાહિત્ય તથા અમદાવાદ પ્રત્યે અપાર પ્રેમ છે. લખવાનો શોખ છે. અંગ્રેજીમાં પોતાનો બ્લોગ છે. આ લેખ મોક્લવા બદલ હિરલનો ખૂબ આભાર. તેમનો સંપર્ક ઇ-મેલ hiral.shah.91@gmail.com પર કરી શકો છો. - ભજમન )

જન્માક્ષર માં માનવું કે નહિ?  - હિરલ શાહ


જન્માક્ષર માં માનવું કે નહિ?  મારા મતે 2 લોજિક મેં અત્યાર સુધી ઓબ્સર્વ કર્યા છે. મારી આદત છે કે કોઈ પણ વિષય પર ગહન અને કૈક અલગ દ્રષ્ટિકોણ થી વિચારવું. એવું જ કંઈક જન્માક્ષર માં માનવું જોઈએ કે નહિ…એ વિષે મારા પોતાના વિચારો છે.  જે અહિં રજુ કર્યા છે.

દલીલ ૧

જો હું સવાલ પૂછું કે જ્યોતિષ વિદ્યા એટલે શું?  જ્યોતિષ વિદ્યા ની શોધ કેવી રીતે અને કયા સંજોગો માં થઈ હશે?  તો મને બહુ નવાઈ લાગે કે અવકાશમાં ૯ ગ્રહો ને પૃથ્વી પર ના માણસો પર આ ૯ ગ્રહો ની કેવી અને કેટલી અસર થાય છે એ વિશે ની વિદ્યા છે. એનો મતલબ કે આ એક એવો કન્સેપ્ટ છે જે ખુબ રમુજી પણ છે અને ખરું તો એ માણસના નબળા મન ની વાતો ની વિદ્યા છે.

વિજ્ઞાન ની રીતે જોઈએ તો અવકાશ માં બધા ગ્રહો સૂર્ય ની આસ-પાસ પોતાની ભ્રમણ કક્ષા માં રહી ને ફરે છે. ખરું ને? તો પછી વિચારો કે આ જ્યોતિષ વિદ્યા ની શરૂઆત કેવી રીતે થઇ?  ખરી રીતે પૃથ્વી પર એક પણ મનુષ્ય એવો નથી જ કે જેને કોઈ જ સમસ્યા ના હોય. તો પછી આ નવ ગ્રહો અને એની વિદ્યા અને માણસો ના જીવનની સમસ્યાઓ માટે જવાબદાર આ ગ્રહો શું સાચે જવાબદાર છે કે નહિ એ તો ખબર નથી.....પણ આ પૃથ્વી સિવાય ના બધા ગ્રહો કેટલી જાતની “વિધિ” સહન કર્યે જ જાય છે!!! કોઈ પણ જાતનો એમનો ગુનો સાબિત પણ થતો નથી કે આ ગ્રહ ના કારણે જ આ જે તે માણસ ને જે તે સમસ્યા છે….પણ આ બધા ગ્રહો કેટલી જાતની “વિધિ”સહન કરે છે. કેવું પડે....!!!!!

બિચારા ગ્રહો? એ શું કામ અને કેવી રીતે પૃથ્વી વાસીયો (માણસો જ હંને ) ને નડે? જરા વિચારો તો ખરા => વાહ આ ગેમ ! ( 8/11 ગ્રહો vs. 6 મિલિઅન પૃથ્વી પર ના મનુષ્યો -)

ઉદાહરણ તરીકે મારે જો કોઈની સાથે અનબન હોય તો એ મને ક્યારેક અવરોધ રૂપ બની શકે..પણ આ બિચારા 8/11 ગ્રહો શું 6 મિલિઅન લોકો ના દુશ્મન બની શકે? આવું શક્ય છે ખરું?

અને જો આવી દુશ્મનાવટ શક્ય છે તો એનો મતલબ એ કે આ 8/11 ગ્રહો એ દરેક પૃથ્વીવાસી ને અવરોધ રૂપ બનવાનું બીડું ઝડપ્યું છે..પણ પછી આ 8/11 ગ્રહો કઈ રીતે વહીવટ કરતા હશે મનુષ્યો ને વિતાડવાનો?  એવું બની શકે કે આ 8/11 ગ્રહો ને પૃથ્વી સાથે દુશ્મનાવટ હોય અને એટલે એ બધા આપણને બધાને હેરાન કરે છે પણ તો પછી આ ગ્રહો પ્રાણીયો ને કેમ હેરાન નહિ કરતા હોય? ખાલી મનુષ્ય ને જ હેરાન કરે?  (ખરું કેવાય !!!!)  એનો મતલબ ગ્રહો ને ખબર છે કે મનુષ્યો બહુ કાયર છે. શું ખરેખર એવું છે? નથી તો આપણને જાણમાં નથી કે કોઈ પ્રાણી ને આ ગ્રહો નડ્યા હોય. કેમ એમ? આ તો બૌ ફની ગેમ છે. ખરી દુશ્મનાવટ નહિ?

ખરેખર તો આપણે મનુષ્યો એ પ્રેકટીકલી વિચારવું જોઈએ અને કોઈ પણ મુસીબત માટે ગ્રહો ને કે બીજા કોઈને પણ દોષ દેવો જોઈએ નહિ. (અને જન્માક્ષર માં ક્યારેય પણ આંધળો વિશ્વાસ ના જ રખાય) આપણી નિષ્ફળતાઓ માટે બીજા કોઈને દોષ દેવા એવી આપણને ટેવ છે. આ માનસિક નબળાઈ છે અને કોઈ ના મળે એટલે આપણે આ બિચારા ગ્રહો ને પણ દોષ દઈએ છીએ. ગુરુ ભારે છે, શનિ ની પનોતી છે……ખરી વિદ્યા છે! આ તો કોઈ ને દોષ દેવા ની વિદ્યા!!

પરંતુ ખરું જોતા તો આપણું કર્તવ્ય છે કે આપણે આપણી જિંદગી વધારે સફળ અને સંપૂર્ણ બનાવવાની. આપણા દરેક કામને અને દરેક સમયને સમભાવે માણવાનું છે. આપણી ફરજો શું કહે છે? જવાબદારી થી વધી ને બીજું કશું જ નથી. જવાબદાર ના બનીએ પણ ક્યારેય પોતાના પર કૈક વીતે તો બીજા ને દોષ દેવા જેવા કાયર તો ના જ બનવું. ખરું ને?

દલીલ 2.

હવે જો આપણે ગ્રહો ની એકબીજા પર ની અસરો અને એ વિષય નું અવકાશનું ગણિત વિચારીયે તો પણ જન્માક્ષર માં માનવું કે નહિ એ બાબતે મારા મતે બીજા ૩ પેટા-લોજિક છે.

જેમ કે જન્મ, મ્રુત્યુ, આત્મા, પુર્વજન્મ, વગેરે બાબતો વિશે હજુ પણ કોઇ હંમેશા સાચી આગાહી કરી શકે એમ નથી. આ બધી બાબતો ના સાચા જવાબો કોઇ ની પાસે નથી. (વર્તમાન સમય માં ગુગલ પાસે પણ નથી.) હિંદુ અને જૈન શાસ્ત્રો પ્રમાણે ઘણું ખરું કર્મો ના સિદ્ધાંતો દ્વારા સમજાવવા માં આવે છે. અને ઘણા પ્રશ્નો ના જવાબો માટે જ્યોતિષ વિદ્યા ના ગહન શાસ્ત્રો પણ છે.

પેટા દલીલ ૧

ઘણા સવાલો ના આપણી પાસે જવાબો નથી, જેમકે મારી સાથે જ કેમ આમ બને છે? મારો આમાં શું વાંક? આ મારે જ કેમ સહન કરવું પડે છે?  ઘણી બાબતો જેમકે આપણું કુળ, આપણા માતા-પિતા, સગા વહાલા, દેશ-કાળ, આપણો દેખાવ વગેરે આપણને જન્મતાંની સાથે મળે છે. આપણને ગમે કે ના ગમે, બસ આપણ ને દરેક ને મળે છે અને એ બધી વાતો ના જવાબો માટે કર્મો ના વિજ્ઞાન ને માનવું પડે છે. જેને સમયે સમયે આપણે સહુ નસીબના નામે ઓળખીએ છીએં. કર્મ વિજ્ઞાન ની દ્રષ્ટિએ આ બધું આપણા પુર્વ ભવ કે આ ભવ ના પાપ કે પુણ્ય કર્મો નું ફળ છે. જેથી એ સવાલો ના જવાબો આપણી પાસે ના હોવા છતાં આપણે આપણા સમય - સંજોગોનો સ્વિકાર કરવો જ પડે છે. આપણે ઇચ્છા છતાં પરિસ્થિતિમાં કોઇ ફેરફાર કરી શકતા નથી જ નથી.

લાઇફ માં આવા મુકામ પણ આવે છે, જ્યારે આપણી બધી બાજુ બસ સુખ જ સુખ, આનંદ જ આનંદ હોય છે, આપણા ખાસ એમાં કોઇ પ્રયત્નો નથી પણ આપણને એ મળે છે, જેને કર્મ વિજ્ઞાન ની દ્રષ્ટિએ પુણ્યકર્મ નો ઉદય કહેવામાં આવે છે. અને બીજી બાજુ એવા મુકામ પણ છે જિંદગી ના સફર માં કે જ્યાં દુખ, શોક, અને બધી બાજુએથી નિરાશા, હતાશા નો સામનો કરવો પડે છે. આપણા અથાક પ્રયત્નો છતાં આપણને ખાસ કોઇ લાભ નથી દેખાતો. જેને કર્મ વિજ્ઞાન ની દ્રષ્ટિએ પાપકર્મ નો ઉદય કહેવામાં આવે છે. આ બધું સમયનું એક ચક્ર માત્ર છે. કશું કાયમ ટકતું નથી જ. ("Nothing can be ever last forever".)

પેટા દલીલ ૨

હવે જિંદગી માં કેટલાક એવા મુકામ છે જેમાં તમે થોડા-ઘણા ફેરફાર કરી શકો છો. લાઇફ માં આ મુકામો ચાર,છ રસ્તા જેવા છે કે જ્યાં તમે જ્યોતિષ વિદ્યા કે તમારી પોતાની કોઠા-સુઝ થી પરિસ્થિતિ નો ઉકેલ ધાર્યા મુજબ લાવી શકો છો. અહિં કદાચ ગ્રહોની અસરની વિદ્યા તમને ક્યાંક કોઇ ઉપાય બતાવી શકે છે. પ્રેક્ટીકલી આ એવો મુકામ છે જ્યાં તમારા પોતાના તમારી જાણ માં તમે કરેલા કર્મોનો હિસાબ છે. અહિં તમારા અથાક પ્રયત્નોનું તમને ફળ મળે છે. "When there is a will there is a way". પણ ઘણું ખરું અહિં જ્યોતિષીઓ ફાવી જાય છે કે એમણે બતાવેલી વિધિ કે ઉપાયોથી તમારું બધું સારું થયું છે. બાકી જો કોઇ ગ્રહ આપણને મન ફાવે એમ નડી જાય અને વિધિ કરવાથી ખસી જાય તો આપણાં જીવન ની કિંમત શું?

પેટા દલીલ ૩

જિંદગી માં કેટલાક એવા મુકામ છે જ્યાં બધું આપણે જ કરીએ છીએ. આપણે જાણીએ છે કે જિંદગી એક કોરો કાગળ છે, જેમાં આપણી મરજી મુજબ આપણે એમાં ચિત્ર દોરવાનું છે. અહિં આપણી માન્યતાઓ, આપણી નિર્ણય શક્તિ, આપણી બુદ્ધિ, આપણા સ્વપનાઓ, આપણું ભણતર બધું કામે લાગે છે, જ્યાં બસ બધું આપણે જ કરીએ છીએ. આપણી જિંદગીની પાટી પર આપણે જાતે આપણને ગમે એવું જ ચિત્ર આપણે બનાવીએ છીએ. અહીં ક્યાંય જન્માક્ષ્રર કે જ્યોતિષ વિદ્યા કામે નથી લાગતી. અને મારા મતે આપણે ખરેખર જે જીવિએ છીએ તે આવી જ જીંદગી છે. બસ ચિત્ર દોરવામાં શરત એક જ કે આપણે દોરેલી લીટીને ભૂંસી નથી શકતા, પરંતુ બીજી વાર દોરતી વખતે ધ્યાન જરુરથી રાખી શકીએ છે. Here, we say, our destiny is in our own hand.

લગ્ન વિષયક જન્માક્ષર માં માનવું કે નહિ ?

મારા મત મુજબ વર્તમાન સમયમાં આપણે જાતે જ આપણને અનુરુપ , આપણી લાગણીઓને અનુરૂપ, આપણા વિચારોને અનુરૂપ જીવન-સાથી શોધીએ છીએ.

આપણે એવા સાથીને શોધીએ છીએ જેને જોતાં જ ઓળખી જઇએ કે "હા", આ જ મારો જીવન-સાથી છે. એ વહેલા-મોડા, લવ-અરેંજ મેરેજ હોઇ શકે છે, અને ખરું પૂછો તો તમારો અંતરાત્મા જ તમને એ વિશે કહી શકે, નહિં કે કોઇ જ્યોતિષ. અને જન્માક્ષર કરતાં વધારે મહત્વનું છે, વિચારોમાં સામ્યતા, એકબીજાને અનુકૂળ થવું, લવ અને લાગણીઓ ની સાથે વિચારોની સામ્યતા અને સમજદારી વધુ અગત્યની છે, જન્માક્ષર કરતાં પણ વધારે. જેથી મારા મતે બે માણસ નો અંતર-આત્માનો અવાજ વધુ મહત્વનો છે.

પરંતુ જીંદગી આખી નો સવાલ છે તો ચેતતા નર સદા સુખી, એ ન્યાયે જન્માક્ષર મળે તો સારું જ છે, પણ એમાં અંધશ્રદ્ધા રાખવી એ હિતાવહ નથી જ. તમારા પોતાનો દિલ નો અવાજ અવગણીને જન્માક્ષરમાં અંધશ્રદ્ધા તમને જીવનભર મુંઝવી શકે છે કે ખરેખર સાચું શું હતું? મેં મારા મનનું કીધેલું કર્યું હોત તો સારું હતું. બાકી કાલની તો કોને ખબર છે? પરંતુ જન્માક્ષર ક્યારેય પણ આપણા અંતર ના અવાજથી વધારે તો ના જ હોઇ શકે. કોઇ ગ્રહ જો મન ફાવે એમ નડી જાય તો આપણાં લગ્ન-જીવન ની કિંમત શું? But still I like to "keep my fingers crossed here".

હવે કેટલુંક આપણી ચિંતાઓ વિશે આપણા જીવનસાથી વિશે.

શું દુનિયા બનાવનાર આર્કિટેક્ટ્ને આપણે કહેવું પડશે કે દુનિયા કેમ બનાવ? જેણે આપણને આટલા કાળજીથી આટલા સરળ , બધાથી અલગ બનાવ્યા છે તો પછી આપણો જીવનસાથી પણ એણે બનાવેલો જ છે. તમે એને શોધો છો ને એ તમને શોધે છે. બાકી જોડી તો પહેલેથી જ બનેલી છે એ વાત નક્કી છે એટલે ચિંતાનું કોઇ જ કારણ નથી જ. દુનિયા બનાવનાર આર્કિટેક્ટે તમારો જોડીદાર બનાવેલો જ છે જે તમારી સાથે શોભે અને તમને ખુબ પ્રેમ આપે. આખરે એ એની ફરજ છે અને તમને એના આશિષ મળેલા છે.

શું કહો છો?  એ તમને શોધે છે અને તમે એને શોધો છો?  કોને ખબર એ તમારી, તમારા કરતા પણ વધુ આતુરતાથી રાહ જોઇ રહ્યો, રહી છે?  Wow....all the best :)

મારી અંગત માન્યતા જ્યોતિષ શાસ્ત્ર વિષે.

હું માનું છું કે આ વિદ્યા ઘણી ખરી સાચી ગણિતવિદ્યા છે. પરંતું એના સાચા જાણકાર ખુબ ઓછા છે. હું આમ માનું છુ, કારણ કે, ૨ વખત જ્યોતિષની વાત સદંતર ખોટી પડી છે (ભગવાન નો ખુબ ખુબ આભાર કે મને મારા પોતાનામાં, મારા પ્રયત્નોમાં અને મારી અંતરની પ્રાર્થનાઓમાં વધારે વિશ્વાસ છે) અને ૨ વખત સાચી પડી છે.

એનો મતલબ કાલે શું થવાનું છે તે બધું સચોટ રીતે કળી શકાય તેમ નથી.

અને હા, મને એક વાત તો ચોક્કસથી ખબર છે કે, મેં ક્યારેય પણ કોઈ ગ્રહ સાથે કોઇ દુશ્મનાવટ કરી નથી, ક્યારેય મેં કોઈ ગ્રહ વિષે નકારાત્મક વિચારો સેવ્યા નથી જ, મને શનિ, કે ગુરુ અવકાશનાં કોઇ પણ ગ્રહ માટે કોઇ પક્ષપાત નથી, પછી મને કોઇ શું કામ નડે? અને મને/મારી જીંદગી ને કોઇ ગ્રહ નડી જાય તો મારું જીવન અર્થહીન છે, આવા જીવનની કિંમત કોડીની પણ નથી.

મને મારા સાચા પુરુષાર્થ પર, મારી પોતાની જાત પર, મારી અંતરની પ્રાર્થના પર સંપુર્ણ વિશ્વાસ છે.
  <<<<>>>>

આપ શું વિચારો છો?


22 ટિપ્પણીઓ:

  1. જ્યોતિષશાસ્ત્ર એક ગણિત આધારિત વિજ્ઞાન છે. કમનસીબે આ શાસ્ત્રના ખરા જાણકારો નહિવત છે. આથી પાયાવગરના ફળાદેશ પર વિશ્વાસ રાખવો ન જોઇએ. ગ્રહોની ગતિની ચોક્કસ આગાહી થઇ શકે પણ તે પરથી ભવિષ્યનું અર્થઘટન કરવું સાવ ફેંકોલોજી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. એક રીતે આપની વાત સાચી છે જોકે મારી અટક જોશી છે અને મારા દાદા ના દાદા ઓ આ વિજ્ઞાન કદાચ જાણતા હતા પણ હું આપ ની સાથે સહમત છું

    જવાબ આપોકાઢી નાખો
  3. I would say as long as you use the science as application of "Theory of Constraints" you would find it useful. But ToC is more precise and accurate thinking process and using Jyotish-shastra as its variant can be disastrous.

    જવાબ આપોકાઢી નાખો
  4. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. I m waiting to see any Jyotish wins the lottery and becomes the millionair-

    જવાબ આપોકાઢી નાખો
  6. I thing what Bhajmanbhai has said is HALF RIGHT. It is mathematics and it works perfect, if the person knows what he/she is doing.

    And also if person has all the NUMBERS right, I mean birthtime, longitude-latitude, etc., whatever needs to do calculations, astrologer can do right prediction. Don't forget planets have their magnetic effects on us. That is why word LUNATIC has come !!

    જવાબ આપોકાઢી નાખો
  7. હેલો...

    બહુ જ રસપદ લેખ છે.

    જયોતિષ શાસ્ત્ર એ ત્યારે જ સાચું પડે છે. જયારે તેના પર 100% વિશ્વાસ હોય અને ત્યારે ખોટું પડે છે જયારે તેના પર 99% વિશ્વાસ હોય.

    તો હવે સમજાયુ ને કે એ બધાનો આધાર તમારા આંતરમન પર હોય છે.
    તમને જેના પર વધારે વિશ્વાસ હોય તે સાંચુ પડે છે અથવા તો તમને જેનો ડર વધારે હોય તે સાચુ પડે છે.

    શોર્ટ માં કહું તો તમે જે વિચારો છો તે જ તમને મળે છે અને તે તમારે નક્કિ કરવાનુ છે કે તે પોઝિટીવ કે નેગેટીવ વિચારવુ.



    દિવ્યેશ

    http://www.krutarth.com

    http://guj.krutarth.com

    http://eng.krutarth.com

    http://dreams.krutarth.com

    જવાબ આપોકાઢી નાખો
  8. Pancham Shukla મનેં ને
    વિગતો દર્શાવો 01:08 am (8 કલાક પહેલા)


    Good article. Convey my congratulations to author.

    જવાબ આપોકાઢી નાખો
  9. Rashmin Avashia મનેં ને
    વિગતો દર્શાવો 08:07 am (1 કલાક પહેલા)

    ભજમન

    તમારો લખેલ પ્રસંગ તેમજ મંતવ્ય વાચ્યા પણ આમાં વધુ હું પ્રકાશ પાડી શકવા સમર્થ નથી ,પણ જયારે આપણને કોઈ સંજોગ કે મુશ્કેલી માં
    રસ્તો ના મળે આપણે ,નસીબ ખરાબ છે ,અથવા તો ગ્રહ દશા ખરાબ છે ? તેમ સ્વાભાવિક કહેવાય જાય છે .એટલે જ્યોતિષ શાસ્ત્ર કે જન્માક્ષર માં માનવા માટે અલગ અલગ વિચારો તો છેજ .પણ હું કદાચ આંધળો વિશ્વાસ નથી કરતો પણ સાવ નથી માનતો તેવું પણ નથી

    બાકી તો જેવી જેની મોજ
    રશ્મીન

    જવાબ આપોકાઢી નાખો
  10. je maanvi naa man ne paani naa jem badli shake che e prabhu badhu j badli shake chhe!! hu jyotishno be varas no course karee chukyo Chu ane mane devi-devataao par viswas etlej takelo hato pan jyaarthee bible vachyu tyaarthee jyotish parathee viswas udi gayo che. bible kahe che 'je manushya paramaatma para nahi ane jadu tonaa ke jotish no saharo le e to naraka ma j jase etale me chodi didhu che.

    www.rajeshpadaya.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  11. આ બાબત મારો સ્વાનુભવ ખાસ વાંચજો.

    http://gadyasoor.wordpress.com/2009/04/28/where-you-are/
    હું આમ તો આ શાસ્ત્રમાં માનતો નથી. અમારે બે જોડીયા પુત્રો છે - સીઝેરીયન ઓપરેશનથી જન્મેલા . એમના જન્મ સમયમાં માંડ એક મિનીટનો ફેર છે . જન્માક્ષર એકદમ સરખા છે - પણ બન્નેના સ્વભાવમાં , કારકિર્દીમાં , અનેક બાબતોમાં આસમાન જમીનનો તફાવત છે.

    પણ ઉપર જણાવેલ અનુભવ પણ વાસ્તવિકતા હતો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પરમાત્મા કદી પુનરુક્તિ નથી કરતો. એક જ ઝાડના બે સરખા પાન શોધી બતાવો ને લાખ રુપિયાનુ ઈનામ લઈ જાઓ.

      કાઢી નાખો
  12. સરસ લેખ..જન્માક્ષરમાં બિલકુલ માનતી નથી. અમારા કે અમારા છોકરાઓના લગ્ન સમયે પણ જન્માક્ષર કે મુહૂર્ત, ચોઘડિયા કશું જોવડાવ્યા સિવાય અનુકૂળતા મુજબ બધા સમય નક્કી કરેલ. ઇસ્વરે બનાવેલી એક એક ક્ષણ શુભ જ હોય છે એમાં દ્રઢ વિશ્વાસ રાખું છું. જે નડે છે તે આપણો સ્વભાવ..આપણા કર્મો..આપણા વિચારો કે આપણી દ્રષ્ટિ..આપણા દુરાગ્રહો..આપણી માન્યતાઓ, અને આપણે પોતે જ આપણને નડતા હોઇએ છીએ. જો ઇશ્વરમાં વિશ્વાસ રાખી શકતા હોઇએ..જે થાય તે સારા માટે એમ સ્વીકારી શકતા હોઇએ તો કોઇ ફરિયાદને અવકાશ રહે નહીં..પરંતુ જેટલું લખવું સહેલું છે..બોલવું સહેલું છે..અમલ કયારેય કોઇ પણ વાત માટે એટલો સહેલો હોતો નથી..મારા સહિત કોઇ પણ વ્યક્તિ માટે.
    આખરે માનવીનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલ છે.
    જયોતિષમાં માનતા હોઇએ ક ન માનતા હોઇએ..પરંતુ કોઇ કહે કે બહું સાચું જુએ છે..તો માનવસહજ કુતૂહલ માટે પણ કોઇ હાથ ધર્યા સિવાય રહે નહીં. ( પછી ભલે મારી જેમ મનમાં હસી કાઢે..આ વિષય ઉપર જેટલું લખીએ એટલું ઓછું છે. જયોતિષ એક વિજ્ઞાન છે..એ સાચું..પરંતુ ઘડીના છઠ્ઠા ભાગની..પળ..વિપળની ગણતરી કરી શકે..એવા ગણિતજ્ઞ આજે કેટલા ? અને એ હોય તો પણ ગ્રહો ત્યાં બેઠા બેઠા આપણને નડી શકે એ વાત તો કયારેય સ્વીકારી શકું તેમ નથી. એ સમયમાં પ્લુટો કે નેપ્ચ્યુન, યુરેનસ જેવા ગ્રહો નહોતા શોધાયા..એટલે એ નથી નડતા..શનિ, મંગળ શોધાઇ ગયા હતા,.તેથી બિચારા બદનામ થઇ ગયા.હવે કોઇ નવ અગ્રહો શોધાય તો એ નડી શકશે ? અલબત્તા આ મારી અંગત માન્યતા છે. બધા પોતાની રીતે જેને જે લાગે તે સ્વીકારી શકે..માની શકે..પોતાન અમન ઉપર આધરિત છે આ બધું..કોઇ માનતું હોય તો એ એની શ્રધ્ધા છે..એની ટીકા ન હોઇ શકે..કે એને ખોટા ન કહી શકાય. હા અંધશ્રધ્ધા તો એટલીસ્ટ ન હોવી ઘટે..પરંતુ આપણે જેને અન્ધશ્રધ્ધા કહીએ છીએ તે પણ તે વ્યક્તિ માટે તો શ્રધ્ધા જ ને ?

    દલીલો..કે ચર્ચાઓનો પાર ન જ આવે. સૌને સૌની માન્યતા મુજબ જીવવાનો..માનવાનો હક્ક હોય જ ને ?

    જવાબ આપોકાઢી નાખો
  13. Thank you Nilam Auntie. I was waiting for your nice brief comment on this article. Because of your blog I started reading Guajarati stories/articles from internet. And thanks to Bhajman Uncle that he read it in English from my blog and asked me to send him original version. Else I could never dream to type so much in Gujarati.
    Thank you both again :)

    જવાબ આપોકાઢી નાખો
  14. કોઇ જોષી-જગતનો કોઇ પણ જોષી કયારે લોટરી જીતે છે -એની હું રાહ જૌં છું-જોષીને તો બિચારાને પોતાની વિદ્યા પર ૧૦૦% વિશ્વાસ હશે જ એમ માન્વું રહ્યું

    જવાબ આપોકાઢી નાખો
  15. જ્યોતિષ અને આંકડાશાસ્ત્ર આ બંને વિષયો જે સારી રીતે જાણતો હોય,
    કર્મ, પ્રારબ્ધ અને સ્વતતંત્ર ઇચ્છાશક્તિ વિષે જેના ફંડા સાફ હોય(મોટા ભાગનાના હોતા નથી); જેઓએ પોતાના ઈશ્વરની વ્યાખ્યા બરાબર કરી હોય અને પોતાના શોખના વિષયને પણ critically analyze કરી શકે તેવા માણસો તમારા જ્યોતિષ સંબંધી વિચારો સાથે થોડા અંશે સહમત થાય તેવું બની શકે. જોકે ગ્રહોની દુશ્મની વિષે તમારી સમજ હજી થોડી કેળવવાની જરૂર વર્તાય છે ખરી.

    જન્માક્ષરના ગ્રહો તો કારના સ્પીડોમીટર માં દેખાતા આંકડા જેવા છે. મીટરની સોય ૮૦ બતાવતી હોય તો એ કારની સ્પીડ માટે સોય જવાબદાર નથી - મીટરને કાચ ન હોય અને તમે હાથથી પકડી સોયને ૮૦ ઉપર થી ફેરવી ૬૦ ઉપર ખસેડો તો તેથી કાઈ કારની સ્પીડ ઓછી થવાની નથી.

    ખરેખર તો જન્માક્ષર જે તે વ્યક્તિ ના પૂર્વ જન્મનું બેલેન્સશીટ છે. તે પાછલા કર્મફળ નો સંભવિત ભોગવટો બતાવે છે. હવે તમે જો ચાલીસ વર્ષે જ્યોતિષ બતાવવા જાઓ ત્યારે તમે આ જીવન માં જે નવા કર્મો ઉભા કરેલ છે તેની નોધ આ બેલેન્સશીટમાં કરવાની કોઈ વિધિ જ્યોતિષ માં નથી. જ્યોતિષી તો બિચારો તમારા જન્માક્ષરના આધારે કથન કરે છે અને ખોટો પડે તેમાં કઈ નવાઈ ન હોવી જોઈએ. આમ જ્યોતિષ પૂર્વકર્મ પર આધારિત પ્રારબ્ધ દર્શાવે છે પણ તમે કેટલે અંશે તમારી સ્વતંત્ર બુદ્ધિ વાપરી આ જુના પ્રારબ્ધને Modified કરી ચુક્યાછો કે કરી શકો તેમ છો તે બાબત જન્માક્ષર કે જે જન્મ સમય આધારિત static document હોવાથી દર્શાવતો નથી.

    જ્યોતિષ વિજ્ઞાન નથી, હજી સુધી તો નથી તેમ છતાં વિજ્ઞાનીક સાધનોનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ ગ્રહોની અસર નોધી શકે તેવા સાધનો ન જ બની શકે તેમ દાવો કરી શકાય નહિ.

    જેમ જ્યોતિષ શાસ્ત્રનિ તેની મર્યાદાઓ છે તેમ કહેવાની guts જ્યોતીશીમાં હોવી જોઈએ તેવી જ રીતે જ્યોતિષની બાબતો ચકાસવા વિષે વૈજ્ઞાનિક સાધનો ની અસમર્થતા સ્વીકારવાની ર્તૈયારી વિજ્ઞાનવાલાઓ રાખે તે આવકાર્ય છે.

    બિચારા બધા જ્યોતિષીઓ બદમાશ હોતા નથી પણ તેમનામાં જે તે વિષય ની મૂળભૂત માન્યતાઓને પડકારવાની મૌલિક સુઝ હોતી નથી.

    જોકે બધા સુખ-દુખ નો આધાર વ્યક્તિ ની માન્યતાઓ અને તેના સમાજની રૂઢીઓ પર આધારિત હોય છે. એક સામાન્ય અમદાવાદી એકાદવાર બીયર પીવે તો પણ ગુનો કર્યો હોય તેમ આત્મવન્ચના થી પીડાય જ્યારે અમેરીકન પોતાના મહેમાનને શરાબ પીરસી ખુશ થાય...! હવે જો દુખ છેવટે માનસિક હોય તો પછી જ્યોતિષી કોઈ ઉપાય કરે અને તેનાથી વ્યક્તિ ના મનમાં આશાવાદી વાતાવરણ ઉભું થતું હોય તો તેનામાટે દુખને સહી લેવામાં મોટો ટેકો થયો સમજવામાં કાઈ ખોટું નથી. ડોક્ટરો પણ pain-keeler ક્યા નથી આપતા ? રેશનાલીસ્તો ને સામાન્ય માણસનો દુઃખનો ઉપાય ઝૂંટવી લેવાનો કોઈ અધિકાર હોઈ શકે નહિ...!

    આપ શું વિચારો છો ?

    જવાબ આપોકાઢી નાખો
  16. જ્યોતિષ શાસ્ત્ર એ એક એવી દિવાલ છે જેની ગમે તે બાજુએ માથા પછાડો તો લોહી માથા પછાડનાર ને જ નીકળે છે.

    જવાબ આપોકાઢી નાખો
  17. મારે પણ ૧ દલીલ રજુ કરવી છે, જ્યોતીષ વિદ્યાની તરફેણમાં!

    જો ચંદ્રની ગતિ સમુદ્ર જેવાં નિર્જીવમાં (આધુનિક વિજ્ઞાન) ભરતી અને ઓટનું કારણ હોય તો પછી ચંદ્ર કરતાં વધારે શક્તિશાળી ગ્રહો મનુષ્યનાં જીવન પર અસર કેમનાં કરી શકે?

    હાલનું વિજ્ઞાન જ્યાં પહોંચી નથી શક્યું ત્યાં કેવળ હિંદુ નહીં પણ ગ્રીક, ઇજિપ્ત વિગેરેની સંસ્કૄતિઓ ભુતકાળમાં પહોંચી ચુકી છે.

    ધર્મ ને વિજ્ઞાનની દ્ર્ષ્ટીએ જોવા માટે તમારે વિવેકાનંદ ને વાંચવા અને પછી સમજવા જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. એ ખરૂં કે હાલનું વિજ્ઞાન સંપૂર્ણ નથી. અને ન જ હોય સંપૂર્ણ થાય તો પહ્હી તે વિજ્ઞાન મટી ઈતિહાસ બની જાય. કદાચ દરેક વ્યક્તિ પર ગ્રહોની અસર ગણિતથી માપી શકાય. પણ તેની અસર વ્યક્તિના ભવિષ્ય સાથે સંકળાયેલી છે તે ફક્ત એક માન્યતા છે, હકિકત નહિ. અસંબધ ઉદાહરણથી અસત્યને સત્ય સાબિત નથી કરી શકાતું.

      કાઢી નાખો
  18. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો